અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 140 મું અંગદાન, ત્રણ લોકોને નવજીવન મળશે
અમદાવાદ સહિત રાજ્યની તમામ મોટી સિવિલ હોસ્પિટલોમાં અંગદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાલ સિવિલ હોસ્પિટલમાં 140 મું અંગદાન થયુ છે.
વિગતો અનુસાર, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું . જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી. નવમી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા આ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.
બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો.
અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એક જૂટ થવું પડશે.
અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે. તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડૉ .જોશી એ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.












Click it and Unblock the Notifications
