Organ donation : અમદાવાદ સિવિલ હોસ્પિટલે 200 અંગદાનનો આંકડો પાર કર્યો, કુલ 657 અંગોનું દાન મળ્યું
Organ donation : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા અંગદાન યજ્ઞને મોટી સફળતા મળી રહી છે. ગુરુપૂર્ણિમાએ આ અંગદાને 200 નો આંકડો પાર કર્યો છે.
અમરેલીના વતની ૩૫ વર્ષીય મહેશભાઈ સોલંકીના બ્રેઇનડેડ થવા બાદ તેમના પરિવારજનોએ ઉદાર નિર્ણય લેતાં અંગદાન કર્યું છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં કુલ 200 અંગદાતાઓ દ્વારા 657 અંગોનું દાન મળી ચૂક્યું છે, જેનાથી 638 લોકોને નવજીવન મળ્યું છે.

મહેશભાઈને ૨ જુલાઈના રોજ બગસરા નજીક એક અકસ્માતમાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને બગોદરા, અમરેલી અને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ૭ જુલાઈએ અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા. સતત ૪૮ કલાકની સારવાર પછી ૯ જુલાઈએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તથા સામાજિક કાર્યકર ભાસ્કર ચાવડાએ પરિવારમાં સમજૂતી કરાવતા તેઓએ અંગદાન માટે સંમતિ આપી હતી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, અંગદાન માત્ર આંકડો નથી, તે દરેક મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાંથી ઉદ્ભવેલી જીવંત આશા છે. ૨૦૦મા અંગદાન દ્વારા મળેલ અંગોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યો છે. ૧ લીવર, ૨ કિડની અને ૧ સ્વાદુપિંડ સિવિલની કિડની હોસ્પિટલમાં અને હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી મળેલા ૨૦૦ અંગદાતાઓમાંથી ૧૭૬ ગુજરાતના અને ૬૮ અમદાવાદના છે. આ સિવાય અન્ય ૨૪માં યુપી, એમપી, બિહાર, રાજસ્થાન અને નેપાળના દાતાઓ સામેલ છે.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, અંગદાનથી દરેક ઓર્ગન ફેલ્યોર પીડિત વ્યક્તિને નવું જીવન મળી શકે એ જ અમારા પ્રયત્નોનું ધ્યેય છે.












Click it and Unblock the Notifications
