અમદાવાદ: નારોલની ગેસ ગળતરની ઘટના મામલે ફેક્ટરી માલિકની ધરપકડ, 2નાં થયા હતા મોત
Narol gas leak incident, Ahmedabad: અમદાવાદમાં ગઈકાલે એટલે કે, 27 ઓક્ટોબરના રોજ અમદાવાદની નારોલ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બની હતી.
જેમાં 2 કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે 7થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ત્યારે સમગ્ર મામલે ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નારોલ સ્થિત દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કેમિકલ લીક થયુ હતુ, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ હતી.
ઘટના બનતાની સાથે 108 એમ્બુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા કર્મચારીઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ ફેક્ટરી ખાતે પહોંચી હતી અને ગેસ લિકેજ બંધ કર્યું હતું. ઘટનાના પગલે ફાયર બ્રિગેડની સાથે જ GPCB,પોલીસ સહિતનો કાફલો ફેક્ટરી ખાતે પહોંચ્યો હતો.
ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડમાં સવારે ગેસ ગળતર થયુ હતું, ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડ કામમાં લેવામાં આવતું હતુ ત્યારે આ ઘટના બની હતી.

સ્લફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થઈ રહ્યું હતુ, ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે તેનું રિએક્શન થયું હતું અને ત્યારબાદ ગેસ લિકેજની ઘટના બનવા પામી હતી.
આ મામલે અભિલાપ યાદવ નામનાં વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. દેવી સિન્થેટીક કંપનીમાં તેઓનો ભત્રીજો કમલ યાદવ ઘણા સમયથી કામ કરતો હતો. 27 ઓક્ટોબરનાં રોજ તેઓને ગેસ ગળતરની ઘટના અંગે જાણ થઈ હતી.
તેઓએ કંપનીનાં સીસીટીવી જોતા તેમાં કંપનીમાં કામ કરતા કોઈ પણ કર્મચારીને સેફ્ટીના સાધનો ન હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ઘટનામાં કંપનીનાં સંચાલક અને સુપરવાઈઝરની બેદરકારીનાં કારણે તેઓનાં ભત્રીજા કમલ યાદવ અને લવકુશ મીશ્રા નામનાં યુવકનું મોત થયું હતું.
સમગ્ર ઘટનામાં દેવી સિન્થેટીકનાં માલિક વિનોદભાઈ અગ્રવાલ અને સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહીત સામે નારોલ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે ગુનામા સામેલ મુખ્ય આરોપી અને કંપનીના માલિક વિનોદભાઈ અગ્રવાલની ધરપકડ કરી છે અને સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહીત હાલ સારવાર હેઠળ હોય તેની સારવાર પૂર્ણ થયા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
