Agriculture News: સરકાર કરશે આ પાકોની ટેકાના ભાવે ખરીદી, 3 લાખ ખેડૂતોને થશે લાભ
Agriculture News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તારીખ 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ એટલે કે, 15 જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા 1734 કરોડની કિંમતની 245710 મેટ્રીક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 1765 કરોડની કિંમતના 324530 મેટ્રીક ટન ચણા અને રૂપિયા 853 કરોડની કિંમતના 150905 મેટ્રીક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.
ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે ખરીદી કરાશે.
ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા 7000 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1400 પ્રતિ મણ), ચણા માટે રૂપિયા 5440 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂપિયા 5650 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
